ભાજપ સાંસદ કંગના રનૌતે બુધવારે સંસદની બહાર કહ્યું- રાહુલને જોઈને અમને મહિલાઓને ખૂબ જ અસ્વસ્થતા અનુભવાય છે. તેમણે કહ્યું-
તે ટપોરીની જેમ આવે છે, તું-તડાક કરે છે. ઇન્ટરવ્યુ આપી રહેલા લોકોને પરેશાન કરે છે. કહે છે- આવ…આવ. તેમને પોતાની બહેનને જોવી જોઈએ. તેમનો વ્યવહાર ખૂબ સારો છે.

કંગનાનું આ નિવેદન તે વિવાદ પછી આવ્યું છે, જેમાં 12 માર્ચે સંસદ પરિસરના મકર દ્વાર પર રાહુલ ગાંધીના ચા-નાસ્તો કરવાને લઈને ટીકા થઈ હતી. આ મામલે 84 પૂર્વ બ્યુરોક્રેટ્સ, 116 પૂર્વ સૈનિકો અને 4 વકીલોએ એક પત્ર લખીને રાહુલ ગાંધી પાસેથી દેશના લોકોની માફીની માગ કરી છે.
કોંગ્રેસ સાંસદ બોલ્યા- કંગનાને રાહુલ પર બોલવાનો હક નથી
કોંગ્રેસ સાંસદ જ્યોતિમણિએ ભાજપ સાંસદ કંગના રનૌત પર કહ્યું- કંગના રનૌતની વાતો તેમના ચારિત્ર્યને દર્શાવે છે. માત્ર સારા કપડાં પહેરી લેવાથી કે સેલિબ્રિટી હોવાથી કોઈ સારા માણસ બની જતા નથી. આ જ તેમની રાજનીતિનું સ્તર છે, તેથી ખરેખર તેમને રાહુલ ગાંધી વિશે બોલવાનો કોઈ અધિકાર નથી.
પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ અમરિંદર સિંહ રાજાએ કહ્યું- કંગનાને લાગે છે કે સંસદ કોઈ સ્ટુડિયો છે, જ્યાં સારા કપડાં પહેરીને, સંપૂર્ણ તૈયાર થઈને અને એક્ટિંગ કરવાની હોય છે. તેમને કેમ લાગે છે કે રાહુલ ટપોરીની જેમ વર્તે છે? રાહુલ ગાંધી અહીં ફિલ્મ બનાવવા આવતા નથી.
પૂર્વ PM દેવગૌડાએ સોનિયા ગાંધીને કહ્યું હતું- રાહુલને સમજાવો
પૂર્વ વડાપ્રધાન અને જનતા દળ (એસ) નેતા એચડી દેવગૌડાએ રાહુલના વર્તનને લઈને 16 માર્ચે કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખ્યો હતો. તેમણે લખ્યું- વિપક્ષના વરિષ્ઠ નેતા હોવાને નાતે તમે તમારા સાંસદો સાથે વાત કરો અને સંસદીય મર્યાદા જાળવી રાખવા માટે તેમને સમજાવો.
92 વર્ષના દેવગૌડાએ બે પાનાના પત્રમાં રાહુલના તાજેતરના પ્રદર્શનોનો ઉલ્લેખ કરતા કહ્યું કે સંસદના બજેટ સત્ર દરમિયાન સતત સૂત્રોચ્ચાર, પોસ્ટર બતાવવા અને ધરણા-પ્રદર્શનોથી લોકતાંત્રિક સંસ્થાઓની ગરિમાને નુકસાન પહોંચી રહ્યું છે. સંસદ પરિસરમાં સીડીઓ પર બેસીને ચા-નાસ્તા સાથે પ્રદર્શન કરવું સંસ્થાની ગરિમાને ઓછી કરે છે.
અમિત શાહ બોલ્યા- રાહુલ દુનિયાભરમાં ભારતની છબી ખરાબ કરી રહ્યા છે
અમિત શાહે 15 માર્ચે આસામના ગુવાહાટીમાં એક સભાને સંબોધિત કરતા કહ્યું- રાહુલ ક્યારેક-ક્યારેક સંસદના દરવાજા પર બેસીને ચા અને પકોડા ખાય છે. શું તેમને એ અહેસાસ નથી કે નાસ્તો કરવા માટે કઈ જગ્યા યોગ્ય હોય છે?
શાહે આગળ કહ્યું- સંસદ આપણા લોકતંત્રની સર્વોચ્ચ સંસ્થા છે. ત્યાં બેસીને વિરોધ કરવો પણ લોકતાંત્રિક પરંપરા નથી. પરંતુ તમે તો વિરોધથી પણ બે ડગલાં આગળ વધી ગયા છો. તમે ત્યાં ચા અને ભજીયા ખાઈ રહ્યા છો. તેનાથી દુનિયાભરમાં ભારતની છબી ખરાબ થઈ રહી છે.